Gujarat
સરકારી અનાજના કાળાબજાર કેસમાં 2.31 લાખનો દંડ કરાયો

ઉમરેઠ યાર્ડમાંથી ચોખાના 160 કટ્ટા ઝડપાયા હતા
– ઠાસરા તાલુકાના કંથરાઈ ગામેથી ભરી લાવ્યો હોવાની કબુલાત ટેમ્પા ચાલકે કરી હતી
આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠના માર્કેટયાર્ડ ખાતેથી ગત જુલાઈ-૨૦૨૨માં ઝડપાયેલ સરકારી અનાજનો જથ્થો ભરેલ ટેમ્પા અંગે જિલ્લા કલેક્ટરે સરકારી અનાજનો જથ્થો રાજ્યસાત્ કરી જે-તે કસૂરવાર પાસેથી રૂા.૨.૩૧ લાખ દંડ વસૂલવાનો આદેશ કર્યો છે.
ગત તા.૧૬-૭-૨૦૨૨ના રોજ ઉમરેઠ પોલીસે મળેલ બાતમીના આધારે ઉમરેઠના માર્કેટયાર્ડ ખાતેથી ચોખાના કટ્ટા ભરેલ એક ટેમ્પો ઝડપી પાડયો હતો. ટેમ્પાના ચાલકના નામઠામ અંગે પૂછતા તે વિપુલકુમાર રાવજીભાઈ ભોઈ (રહે.ઉમરેઠ, જાગનાથ ભાગોળ) હોવાનું જણાવ્યું હતું અને ચોખાના કટ્ટા અંગે પૂછતા ઠાસરા તાલુકાના કંથરાઈ ગામેથી ભરી લાવ્યો હોવાનું જણાવ્યું હતું.
દરમ્યાન ટેમ્પામાં ભરેલ અનાજના કટ્ટાની તપાસ કરતા તે સરકારી અનાજ હોવાનું જણાતા ઉમરેઠના પુરવઠા નાયબ મામલતદારની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ કુલ-૧૬૦ ચોખાના કટ્ટા કબજે લઈ વિપુલ ભોઈ પાસે તેના બીલની માંગણી કરતા બીલ નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી કોઈ છળકપટથી કે અન્ય કોઈ રીતે તેણે સરકારી અનાજ લાવ્યો હોવાનું માની ચોખાના કટ્ટા તથા ટેમ્પો મળી રૂા.૩,૮૧,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ અંતર્ગત જિલ્લા કલેક્ટરે ટેમ્પામાં ભરેલ ૪૦૬૦ કી.ગ્રા. ચોખાનો જથ્થો રાજ્યસાત્ કરી આ ઘટના હેઠળ રૂા.૨,૩૧,૨૦૦નો દંડ વસૂલવા હુકમ કર્યો છે.
બ્યુરો રિપોર્ટ બસર ચિશ્તી આણંદ..