Panchmahal
‘મારી માટી, મારો દેશ’ અભિયાન હેઠળ પંચમહાલ જિલ્લામાં ભવ્ય ઉજવણી કરાઈ

જિલ્લામાં કુલ ૭૧,૫૦૪ નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી,૪૪,૦૨૫ સ્વદેશી રોપાઓનું વાવેતર કરાયું તથા ૩૨,૦૮૪ સેલ્ફીઓ અપલોડ કરાઈ
જિલ્લામાં વીર વંદના હેઠળ ૮૧૦ વીરો-પરિવારોને સન્માનિત કરાયા,કુલ ૫૩૬ શીલા ફલકમની સ્થાપના સહિત ૭૧,૪૫૪ નાગરિકો રાષ્ટ્રગાન અને ધ્વજ વંદન કાર્યક્રમમાં સહભાગી બન્યા
આઝાદી કા અમૃત મહોત્સવને યાદગાર તેમજ ભવ્ય બનાવવા ભારતભરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાને પૂરવેગ પકડ્યો છે. તા. ૯ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન પંચમહાલ જિલ્લાના ૫૨૫ ગ્રામ પંચાયતો અને ૧૩૧ ગામો મળી કુલ ૬૫૬ ગામોમાં કાર્યક્રમ યોજાયા છે. તા.૧૬ ઓગસ્ટથી વિવિધ મહાનુભાવોના હસ્તે જિલ્લાના સાત તાલુકા કક્ષાના કાર્યક્રમો તથા ચાર નગરપાલિકાના કાર્યક્રમો પણ હર્ષભેર ઉજવાયા છે.
પંચમહાલ જિલ્લામાં કુલ ૫૩૬ શીલા ફલકમ તથા અમૃત વાટિકાનું નિર્માણ કરાયું છે. જિલ્લાના નાગરિકો દ્વારા ૩૨,૦૮૪ સેલ્ફીઓ અપલોડ કરાઈ છે. જ્યારે કુલ ૭૧,૫૦૪ નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી છે.વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ૪૪,૦૨૫ સ્વદેશી રોપાઓનું વાવેતર તેમજ વીર વંદના હેઠળ ૮૧૦ વીરો-પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા છે. જિલ્લાના અંદાજે ૭૧,૪૫૪ નાગરિકો રાષ્ટ્રગાન અને ધ્વજ વંદન કાર્યક્રમમાં સહભાગી થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં તથા તાલુકા કક્ષાએ ‘મારી માટી, મારો દેશ‘ અભિયાનને સફળતા મળી છે.દરેક ગ્રામ પંચાયતથી માટી યોગ્ય પાત્રમાં એકત્રિત કરીને કળશ દ્વારા તાલુકા કક્ષાએ લાવવામાં આવી છે.હવે પછી જિલ્લાના કુલ સાત તાલુકા દીઠ ૧ એમ કુલ ૭ યુવા પ્રતિનિધિ કળશ લઈને આગામી ૨૭ ઓગસ્ટના રોજ દિલ્હીના કર્તવ્ય પથ મહોત્સવ ખાતે રવાના થશે અને ૩૦ ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે ફિનાલે મહોત્સવમાં ભાગ લેશે.