Panchmahal
પાવાગઢ ખાતે એક દિવસીય નવરાત્રી ઉત્સવ ઉજવણીનો ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

અરવિંદ વેગડા એન્ડ ટીમના કંઠે પાવાગઢના માચી ઘાટ,ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામી
કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,પંચમહાલ દ્વારા “નવરાત્રી શક્તિ પર્વ” અંતર્ગત પાવાગઢ સ્થિત માચી ઘાટ,ચાચર ચોક પરિસરમાં એક દિવસીય નવરાત્રી ઉત્સવનું આયોજન ગુજરાતના ખ્યાતનામ કલાકારો અરવિંદ વેગડા,પાયલ શાહ અને તેમની ટીમ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ-ગરબાનુ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું.જિલ્લા વહીવટી તંત્ર અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરીને ગરબાની શરૂઆત કરાવી હતી.
જેમાં અરવિંદ વેગડા (ટીમ સાથે) અને પાયલ શાહ દ્વારા પોતાના સ્વરોથી માતાજીની આરાધના કરી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમાર,નિવાસી અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા,હાલોલ પ્રાંત અધિકારી ડૉ.મયુર પરમાર,જિલ્લા યુવા વિકાસ અધિકારી પારગી,નાયબ પોલીસ અધિક્ષક ગોધરા અને હાલોલ સહિત પંચમહાલ જિલ્લાના અધિકારીઓ,કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.હાલોલ મામલતદાર દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરીને સૌને આવકાર્યા હતા.
આ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં માઈ ભકતો ઉપસ્થિત રહ્યા હતા.કલાકાર અરવિંદ વેગડા
ભાઈ ભાઈ ગીતથી જાણીતા બન્યા છે.તેમનું ભલા મોરી રામા આલ્બમ ખૂબ જ પ્રચલિત બન્યું હતું.પાવાગઢ ચાચર ચોક ખાતે અરવિંદ વેગડા એન્ડ ટીમના કંઠે ગરબાની રમઝટ જામી હતી જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી.