Chhota Udepur

બિપોરજોય વાવાઝોડાને અનુલક્ષીને છોટાઉદેપુર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
સંભવિત બિપરજોય વાવઝોડાને અનુલક્ષીને છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના વિડીયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી.
બેઠક દરમિયાન ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા કલેકટરે વાવાઝોડાના સમયે કેવા પ્રકારના પગલા એ અંગે જાણકારી આપી હતી. તેમણે વાવાઝોડા દરમિયાન ઉપસ્થિત થનાર કોઇ પણ પ્રકારને પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને સજજ થવા હાકલ કરી હતી. તેમણે પુરતી સાધન સામગ્રી અને જરૂરી વ્યવસ્થાઓ કરવા અંગે પણ તાકીદ કરી હતી.
વધુમાં તેમણે વીજ પુરવઠો સતત જળવાઇ રહે એ માટે એમ.જી.વી.સી.એલના અધિકારીઓને તકેદારી રાખવા માટે જણાવ્યું હતું. વાવાઝોડાને કારણે કયાંક વૃક્ષો ધારાશાયી થઇ જાય તો માર્ગ અને મકાન વિભાગ તથા વન વિભાગને યોગ્ય સંકલન કરી રસ્તાઓ બંધ ન જાય એની માટે યોગ્ય તૈયારીઓ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત હોસ્પિટલો ખાતે પણ જનરેટર સહિતની સુવિધાઓ પુરતા પ્રમાણમાં રાખવા, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, હોસ્પિટલમાં રહેલા દર્દીઓને કોઇ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે એ માટે હોસ્પિટલોને તકેદારી રાખવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત વાવાઝોડા દરમિયાન ભારે વરસાદનો પરિસ્થિતિ ઉભી થાય અને પુરની પરિસ્થિતિનું નિર્માણ થાય એવા સંજોગોમાં અસરગ્રસ્તોને સ્થળાંતર માટે આશ્રયસ્થાનોની ઓળખ કરવા, રાહત અને બચાવ કાર્ય માટે જરૂરી સાધનો જેવા કે, હોડીઓ, લાઇફ જેકેટ, તરવૈયાઓની ટુકડીને સાબદી કરવા તથા જરૂર પડે એસ.ડી.આર.એફ અને એન.ડી.આર.એફની મદદ લેવાની થાય તો આગોતરી તૈયારી રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત લોકોને નદી, તળાવ કાંઠે ફરવા જવા તથા મોટા ઝાડ નીચે ઉભા ન રહેવા જિલ્લા કલેકટર તરફથી અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા, અધિક નિવાસી કલેકટર કે.ડી ભગત, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, નાયબ કલેકટર અમીત ગામીત, જિલ્લાના અન્ય વરિષ્ટ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Trending

Exit mobile version