Surat
કર્ણાટકમાં જૈન મુનિની હત્યાનાં વિરોધમાં સુરત શહેરમાં વિશાળ રેલી નીકળી

(સુનિલ ગાંજાવાલા સુરત)
કર્ણાટકમાં નંદીગામ ખાતે દિગમ્બર જૈનાચાર્ય કામકુમાર નંદીજી મહારાજની ગત 5મી જુલાઈના રોજ ઘાતકી હત્યાના ઘેરા પગલાં પડ્યાં છે. ગુરુવારે સુરત શહેરમાં જૈન સમાજનાં હજારો લોકોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. હત્યારાઓને સખ્ત સજાની માગ સાથે સમાજે જિલ્લા કલેકરને આવેદન પત્ર પાઠવીને ઘટનાને વખોડી કાઢી હતી.ગત 5મી જુલાઈના રોજ કર્ણાટકમાં બેંગ્લોર પાસે નંદી ગામમાં દિગમ્બર જૈનાચાર્ય કામકુમાર નંદીજી મહારાજની વિજળીના કરંટ આપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતીઆ ઘટના બાદ દેશભરમાં જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ગુરુવારે શહેરમાં પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટરથી જૈન સમાજે એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. ખૂબ મોટી જનમેદની આ રેલીમાં ઉમટી પડી હતી. રેલીમાં જોડાયેલા લોકોએ નંદીજી મહારાજની ઘાતકી હત્યાનો આકરા શબ્દોમાં વિરોધ કર્યો હતો.
પાર્લેપોઈન્ટથી નીકળેલી વિશાળ રેલી અઠવાલાઈન્સ કલેકટર કચેરી પહોંચી હતી. રેલીમાં જોડાયેલા જૈન સમાજના આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.આવેદન પત્ર પાઠવવા માટે પહોંચેલા જૈન સમાજના આગેવાનોએ તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે, દિગમ્બર મુનિરાજ 108 નંદીકુમાર મહારાજની ઘાતકી હત્યાનો જૈન સમાજ જ નહીં તમામ સમાજ સખ્ત શબ્દોમાં વિરોધ કરે છે. સાધુઓની નિર્મમ હત્યા જેવા જઘન્ય ગુનાને ડામવા માટે સખ્ત કાયદા બનાવાય. આ પ્રકારના કૃત્યમાં સંડોવાયેલા આરોપીઓને પણ સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે. આ પ્રકારની ઘટનાઓનું પુનરાર્તન ન થાય તે માટે પણ યોગ્ય પગલાં ભરવામાં આવે, તેવું તેમણે ઉમેર્યું હતું.