Panchmahal
પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પરિણામે કુલ ૫૧,૯૮૩ હેક્ટર વિસ્તારમાં ખરિફ પાકોનું વાવેતર નોંધાયું

* જિલ્લામાં ખેડુતો માટે પૂરતા પ્રમાણમાં યુરીયા ખાતર ઉપલબ્ધ હોવાનું નાયબ ખેતી નિયામકશ્રીએ જણાવ્યું
ચાલુ વર્ષે પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પરિણામે કુલ ૫૧,૯૮૩ હેક્ટર વિસ્તારમાં ખરિફ પાકોનું વાવેતર નોંધાયું છે.જિલ્લામાં સારા વરસાદને પરિણામે ખેડુતોને જરૂરિયાત અનુસાર યુરિયા ખાતર ઉપ્લબ્ધ બને તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં વિવિધ તાલુકા મથકો અને ગ્રામ્ય કક્ષા ખાતેના એગ્રી બિઝિનેસ સેન્ટર અને સહકારી મંડળીઓ વગેરે તમામ પાસે ચાલુ ખરિફ સિઝન માટે ઓનલાઇન પી.ઓ.એસ. મશીન મુજબ ૯૮૧૫ મેટ્રિક ટન યુરિયાનો જથ્થો ઉપલબ્ધ છે. વધુમાં, ચાલુ જુલાઇ માસમાં ૫૫૦૦ મેટ્રિક ટન યુરિયાનો સપ્લાય પ્લાન મંજુર થયેલ છે. જેની સામે હાલ ૬૦૦ મેટ્રિક ટન જેટલો યુરિયાનો જથ્થો ઉપલબ્ધ થઇ પણ ગયેલ છે.
આગામી સમયમાં જિલ્લામાં કોઇ પણ જગ્યા એ યુરિયા ખાતરની અછત ઉદભવવાની શક્યતા નથી. અછતની ખોટી અફવાઓથી ખેડુતોને સાવધાન રહેવા વિનંતિ કરાઈ છે.
ખેડુતોએ પોતાની જરૂરિયાત મુજબનો જથ્થો માન્ય રાસાયણિક ખાતર વિક્રેતાને પોતાનો આધાર નંબર રજુ કરીને, ખરીદીનું પાકું બિલ મેળવીને જ ખરીદ કરવા આગ્રહ રાખવો. યુરીયા ખાતર સાથે પ્રવાહી નેનો-યુરિયાનો પણ ભલામણ મુજબ વપરાશ કરવો અને નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા
નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.