Chhota Udepur

કવાંટ ખાતે જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

Published

on

પ્રતિનીધી, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

આદિવાસી સમાજની સંસ્કૃતિ ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમજ તેમની પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા દર વર્ષે તા. ૯ મી ઓગષ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા રાજ્ય સરકાર દ્વારા આ દિવસે આયોજન કરવામાં આવે છે. આજે રાજ્ય સહિત સમગ્ર દેશમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના છેવાડે આવેલા છોટાઉદેપુર જિલ્લાનાં કવાંટ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કવાંટ તાલુકા ખાતે આદિવાસી સમુદાય દ્વારા મોટી સંખ્યામાં આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.
કવાંટ સૈડીવાસણ બિરસા મુંડા સર્કલ પાસે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને કવાંટ નગરની અંદર રેલીઓ યોજીને આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી અને કવાંટના બિરસામુંડા સર્કલ જય જોહર, જય આદિવાસી ના નારા થી ગુંજી ઉઠ્યું હતું.

Advertisement

કવાંટ તાલુકામાં આદિવાસી સમુદાય દ્વારા આદિવાસી દિનની ઉજવણીના ભાગરૂપે ડીજે તેમજ સાંસ્કૃતિક પરંપરાગત વાજિંત્રો, આદિવાસી નૃત્ય તેમજ આદિવાસી વેશભૂષા સાથે આદિવાસી પરંપરાગત વાદ્યો જેવાકે તુર,માદળ,પેપા, તારપા તથા આદિવાસી ઓના હળ, છટકો, દાંતરડું, સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજની જનમેદની ઉમટી પડી હતી અને ધામધૂમ પૂર્વક આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. બિરસા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓનાં હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે પણ બાથ ભીડી હતી. આજના દિવસ સમગ્ર વિશ્વમાં વસતા આદિવાસીઓ માટે તેમનો વારસો, સંસ્‍કૃતિ, ભાષા, અધિકારો માટે સંકલ્પબદ્ધ થવાનો અને ભગવાન બિરસામુંડા સહિત હજારો આદિવાસીઓના બલિદાનને ગર્વપૂર્વક યાદ કરવાનો દિવસ છે. દેશની સેવામાં આદિવાસીઓનો ઇતિહાસ અત્યંત ગૌરવશાળી છે.

રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય અને રાજ્‍યના વિકાસમાં આદિવાસી સમાજ અભૂતપૂર્વ યોગદાન આપે તે હેતુસર વર્ષ ૨૦૦૭માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરાવી હતી. વિશ્વ આદિવાસી દિવસે ડીજેના તાલ ઉપર અનેક યુવા વર્ગ ઝૂમતો જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ તેમજ વડીલો રેલીમાં જોડાઈને આજના દિનની ઉજવણી કરવામાં આવી હતી

Advertisement

આજના આ કાર્યક્રમમાં જેતપુરપાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, ટ્રાયફેડના ચેરમેન રામસિંગ રાઠવા, જિલ્લા પ્રમુખ મલ્કાબેન રાઠવા, કવાંટ આદીવાસી સમાજના અગ્રણી વિજયભાઈ રાઠવા, જેતપુરપાવી, કવાંટ તાલુકાના પ્રમુખો, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement

Trending

Exit mobile version