National
જિલ્લાના તમામ એન્ટ્રી પોઈન્ટ સીલ, અર્ધલશ્કરી દળો તૈનાત; શાળા-કોલેજ બંધ

હરિયાણાના નૂહમાં સોમવારે થયેલી હિંસા બાદ પોલીસે પોતાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જિલ્લાના તમામ એન્ટ્રી પોઈન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે. પથ્થરબાજો અને આગચંપી કરનારાઓની ધરપકડ શરૂ થઈ ગઈ છે. સમગ્ર નૂહમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ અને અર્ધલશ્કરી દળોની 15 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
શાળા-કોલેજ અને ઈન્ટરનેટ સેવા બંધ
અફવાઓ ન ફેલાય તે માટે જિલ્લામાં ઈન્ટરનેટ સેવા 2 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી છે. ગુરુગ્રામ, ફરીદાબાદ અને પલવલ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓને મંગળવારે સાવચેતીના પગલા તરીકે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બીજી તરફ તોફાનીઓ સામે પોલીસ મોટી કાર્યવાહી કરી રહી છે. પોલીસ વીડિયો દ્વારા તોફાનીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
VHPના સરઘસ પર હુમલો
હકીકતમાં, સોમવારે નૂહ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)નું એક સરઘસ પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન ભીડે સરઘસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પથ્થરમારો અને આગચંપીના બનાવો બન્યા હતા. હિંસક ટોળાએ અનેક વાહનોને સળગાવી દીધા હતા. આ હિંસામાં બે હોમગાર્ડ જવાન અને એક નાગરિકનું મોત થયું હતું. હિંસાની ઘટનાઓમાં કુલ 45 લોકો ઘાયલ થયા છે. હિંસક ટોળાએ કુલ 33 વાહનોને આગ ચાંપી દીધી હતી. હિંસાને કારણે રોડ પર કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
મંદિરમાં લગભગ 2,500 લોકો છુપાયેલા હતા
હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે જણાવ્યું હતું કે પોલીસે નુહના શિવ મંદિરમાંથી લગભગ 2,500 પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને બહાર કાઢ્યા હતા. આમાં યાત્રાળુઓ અને બંને પક્ષો વચ્ચેની અથડામણ દરમિયાન ત્યાં આશરો લેનારાઓનો સમાવેશ થાય છે. હરિયાણાના મુખ્યમંત્રીએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.