Ahmedabad
શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર તથા કડીમાં અપરા એકાદશીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના કલાત્મક વાઘાનો મનોરમ્ય શણગાર …

વૈશાખ વદ અગિયારસ જેને અપરા એકાદશી કહેવાય છે. અપરા એકાદશીને અચલા એકાદશી, ભદ્રકાળી એકાદશી અને જળક્રીડા એકાદશી પણ કહેવામાં આવે છે. અને અપરા એકાદશીનું વ્રત કરવાથી પુષ્કળ ધન-સંપત્તિ અને માન-સન્માન પ્રાપ્ત થાય છે. અપરા એકાદશીનું વ્રત પાપ સાથે પ્રેત બાધાઓ માંથી પણ મુક્તિ અપાવે છે.
अपरा નો સ્થૂળ અર્થ આ સંસારને જાણવાની અને એથી વ્યવહારું થઇને સરળતાથી સુખપુર્વક જીવનનિર્વાહ કરવાની વિદ્યા. ચાર વેદ અને એના છ અંગો ; શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ અને છંદના અભ્યાસને अपरा विधा કહે છે. “છંદ ને વેદના પગ, કલ્પને હાથ, જ્યોતિષને આંખ, નિરુક્તને કાન, શિક્ષાને નાક અને વ્યાકરણને મોઢું ગણવામાં આવ્યાં છે”. પરંપરાગત રીતે અપરા એકાદશીને જલક્રિડા તથા કાકડી સાથે જોડવામાં આવેલ છે. ગ્રીષ્મનો તાપ તીવ્ર થવા લાગ્યો છે સમગ્ર સંસાર શીતળતા ઇચ્છે છે અને શરીર પણ, આથી જલક્રિડાથી તન અને મનને શાંતિ મળે છે અને સુખ અનુભવાય છે તેથી તેને જળક્રીડા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીના દિવસે ભગવાનને કાકડી ઘરાવાનો સવિશેષ મહિમા છે. અપરા એકાદશી કરવાથી બ્રહ્મ હત્યામાંથી મુક્તિ મળે છે તેથી અપરા એકાદશીને મહાપુણ્યપ્રદા અને મહાપાપનાશિની કહેવામાં આવે છે. અપરા એકાદશી અમિત ફળને આપનારી છે. આ દિવસે જે ઉપવાસ કરે છે તેને સંસારમાં યશ, કીર્તિ અને ધન પ્રાપ્ત થાય છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી વચનામૃતમાં જણાવાયું છે કે અપરા એકાદશી જે કરે છે તે આલોક અને પરલોકમાં સુખી થાય છે. જેમ કોઈ શાહુકારે હુંડી લખી હોય ત્યારે તેમાં રૂપિયા દેખાતા નથી, પણ તેને વટાવામાં આવે છે, ત્યારે રૂપીયાનો ઢગલો થાય છે. તેવી રીતે એકાદશી વ્રત કરનાર સુખી થાય છે. જે એકાદશી કરે છે તેને સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપીને પોતાના અક્ષરધામમાં પણ લઈ જાય છે.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર લાખ્ખો શ્રદ્ધાળુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન છે. તેમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજને અપરા એકાદશીના શુભ દિને શીતળ ચંદનના કલાત્મક વાઘાનો નયનરમ્ય શણગાર ધારણ કરવામાં આવ્યો હતો.
સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગ્રીષ્મ ઋતુ દરમિયાન ભગવાનને ઠંડક-શીતળતા પ્રાપ્ત તદર્થે સંતો-ભક્તો દ્વારા ચંદન કાષ્ટને ઘસી અને તેના વિશિષ્ટ શણગાર ભગવાનને ધારણ કરાવવામાં આવે છે. શીતળતા આપવામાં શિરમોડ એવું ચંદન ભગવાનને ગરમીથી રાહત મળે તે પૂજનીય પૂજારી સંતો કલાત્મક ચંદન વાઘા – શણગાર અર્ઘ્ય અર્પણ કરતા હોય છે. ચંદન એ સમર્પણનું પ્રતીક છે.તે ઘસાય છે છતાં પણ સુગંધ આપે છે અને માનવજીવનમાં ભગવાનની કસોટીમાં પણ પોતાના સદ્ગુણો જાળવી રાખવાની પ્રેરણા આપે છે. વૈશાખ સુદ ત્રીજ – અક્ષય તૃતીયાથી લઇ વૈશાખ વદ અમાવાસ્યા સુધી ભગવાનને મનોરમ્ય અને કલાત્મક ચંદનના વાઘા પહેરાવવામાં આવે છે. જેનાં દર્શન કરી સંતો-ભક્તો, ભાવિકો ગ્રીષ્મ ઋતુમાં અંતરીક શીતળતા અનુભવે છે.
“શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં દર્શનદાન અર્પતા ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરીકૃષ્ણ મહારાજને ચંદનના વાઘાના વિશિષ્ટતા સભર શણગાર ધરાવ્યા હતા. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે અવિસ્મરણીય ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજની શણગાર આરતી ઉતારી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરથી લાઇવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ કર્યા હતાં.