Business
આ કારણે 11.5 કરોડ પાન કાર્ડ થઈ ગયા બંધ, હવે ભરવો પડશે ભારે દંડ

કેન્દ્ર સરકારે 11.5 કરોડ પાન કાર્ડ બંધ કરી દીધા છે. આ કડક નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યું ન હતું. એક આરટીઆઈના જવાબમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) એ જણાવ્યું કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 30 જૂન હતી. નિયત સમયમાં બંને કાર્ડ લિન્ક ન કરાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
દેશમાં 70 કરોડ પાન કાર્ડ છે.
દેશમાં આ પાન કાર્ડની સંખ્યા 70.24 કરોડ પર પહોંચી ગઈ છે. તેમાંથી 57.25 કરોડ લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું હતું. લગભગ 12 કરોડ લોકોએ નિર્ધારિત સમયમાં આ પ્રક્રિયાને અનુસરી ન હતી. તેમાંથી 11.5 કરોડ લોકોના કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે.
નવું PAN કાર્ડ આધાર સાથે લિંક છે
આ આરટીઆઈ મધ્યપ્રદેશના આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌરે દાખલ કરી હતી. જેમાં જાણકારી આપવામાં આવી હતી કે નવા પાન કાર્ડ બનાવતી વખતે આધાર સાથે લિંક કરવામાં આવે છે. આ આદેશ એવા લોકો માટે જારી કરવામાં આવ્યો છે જેમણે 1 જુલાઈ 2017 પહેલા પાન કાર્ડ બનાવ્યું હતું. આવકવેરા કાયદાની કલમ 139AA હેઠળ, પાન કાર્ડ અને આધારને લિંક કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
1000નો દંડ ફટકારવામાં આવશે
આ આદેશ હેઠળ, જે લોકો પાન-આધાર લિંક કરાવવામાં નિષ્ફળ જાય છે તેઓ 1000 રૂપિયાનો દંડ ભરીને તેમના કાર્ડને ફરીથી સક્રિય કરી શકે છે. ગૌરે કહ્યું કે નવું પાન કાર્ડ બનાવવાની ફી માત્ર 91 રૂપિયા છે. તો પછી કાર્ડ રિએક્ટિવ કરવા માટે સરકાર 10 ગણાથી વધુ દંડ શા માટે વસૂલી રહી છે? લોકો આવકવેરા રિટર્ન પણ ફાઇલ કરી શકશે નહીં. સરકારે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.
સમસ્યાઓ ક્યાં ઊભી થશે?
પાન કાર્ડ બંધ થવાને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. CBDT અનુસાર, આવા લોકો આવકવેરા રિફંડનો દાવો કરી શકશે નહીં. ડીમેટ ખાતું ખોલવામાં આવશે નહીં અને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ખરીદવા માટે રૂ. 50,000 થી વધુની ચુકવણીની મંજૂરી આપવામાં આવશે નહીં. તમે શેર ખરીદવા અને વેચવા માટે રૂ. 1 લાખથી વધુ ચૂકવણી કરી શકશો નહીં. તમારે વાહનોની ખરીદી પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. FD અને બચત ખાતા સિવાય બેંકમાં કોઈ ખાતું ખોલવામાં આવશે નહીં. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ જારી કરવામાં આવશે નહીં. તમે વીમા પોલિસી પ્રીમિયમ માટે રૂ. 50,000 થી વધુ ચૂકવી શકશો નહીં. પ્રોપર્ટીની ખરીદી અને વેચાણ પર વધુ ટેક્સ લાગશે.