Chhota Udepur
છોટાઉદેપુર ઓરસંગનદી કિનારે બ્રાહ્મણો એ વિધિવત યજ્ઞોપવિત બદલી

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકાઓમાં આજરોજ વિધિવત રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો. જેમાં ભારે ઉત્સાહ પૂર્વક બહેને ભાઈની કલાઈ ઉપર રાખડી બાંધી ભાઈના રક્ષણ અર્થે ઈશ્વરને પ્રાર્થના કરી હતી. જ્યારે સમગ્ર જિલ્લામાં રક્ષાબંધન પર્વ નિમિત્તે ઉમનગ ઉત્સાહ નું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ રક્ષાબંધન તહેવારના દિવસ દરમ્યાન ભદ્રકાળ હોય જેને ધ્યાને રાખીને રાત્રીના 9 કલાક પછી રાખડી બાંધવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી સમયમાં થોડો ઘણો ફેરફાર થતા રાખડી બાંધવા રાહ જોવાનો વારો આવ્યો હતો. છોટાઉદેપુર નગરસહિત જિલ્લામાં ધામધૂમ પૂર્વક રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. ભાઈ બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના આ તહેવારમાં બહેનના હાથે ભાઈના હાથે રક્ષા (રાખડી) બાંધી ભાઈના દીર્ઘ આયુષ્ય તથા રક્ષણ અર્થે કામના કરી હતી. અને ભાઈને મીઠાઈ ખવડાવી હર્ષોલ્લાસ થી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
સાથે સાથે આજરોજ બળેવ પૂનમ હોય બ્રાહ્મણો દ્વારા ધાર્મિક સ્થાનો ઉપર જ્યારે છોટાઉદેપુરમાં ઓરસંગ નદી કિનારે યજ્ઞોપવિત ( જનોઈ ) બદલવામાં આવી હતી. રક્ષાબંધનના દિવસે દરેક બ્રાહ્મણને ધાર્મિક વિધિથી યજ્ઞોપવિત (જનોઈ) બદલવાની હોય છે. બ્રાહ્મણો દ્વારા આજરોજ નગરના કામનાથ મંદિરે ઓરસંગનદી કિનારે સમૂહમાં યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા હતા અને ગાયત્રી મંત્ર ના જાપ સાથે જનોઈ બદલી હતી. સંસ્કારનું પ્રતીક યજ્ઞોપવિત ધારણ કરી બ્રાહ્મણોએ ધન્યતા અનુભવી હતી. આજના પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના મંદિરોમાં પણ ભગવાનના દર્શન અર્થે ઘસારો જોવા મળ્યો હતો.