Politics
મુખ્યમંત્રી બસવરાજ બોમાઈનો દાવો, કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ફરી આવીશ

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ ફરીથી સીએમ બનવા અંગે નિવેદન આપ્યું છે. લિંગાયત સંપ્રદાયના સ્થાપક બસવેશ્વરાને ટાંકીને અને તેમની સરકારના વિકાસ એજન્ડાની પ્રશંસા કરતા, કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ કહ્યું છે કે તેઓ મેની વિધાનસભા ચૂંટણી પછી સત્તામાં પાછા ફરશે.
મંગળવારે રાત્રે ઉત્તર કર્ણાટકના બાગલકોટ જિલ્લાના હુનાગુંડ ખાતે એક જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે સમાજના દરેક વર્ગને સામાજિક ન્યાય આપવા માટે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. જેના પરિણામે છેલ્લા ચાર વર્ષમાં માથાદીઠ વાર્ષિક આવકમાં રૂ.1 લાખનો વધારો થયો છે.
‘હું ફરીથી સીએમ બનીને આવીશ’
સીએમ બોમાઈએ એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યું, ‘હું ફરીથી મુખ્યમંત્રી તરીકે પાછો આવીશ. ભગવાને મને કર્ણાટક માતાની સેવા કરવાની તક આપી છે. મેં ઈમાનદારીથી કામ કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ 12મી સદીના સમાજ સુધારક અને લિંગાયત સંપ્રદાયના સ્થાપક બસવેશ્વર દ્વારા ઉપદેશ આપેલા ‘કામ એ જ પૂજા’ અને સામાજિક સમાનતાના માર્ગને અનુસરી રહ્યા છે.
લોકોને ભાજપની તરફેણમાં મતદાન કરવા અપીલ
બોમાઈના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે યોજાયેલી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટ દરમિયાન રાજ્યને 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ મળ્યું હતું. તેમણે લોકોને અપીલ કરી કે જો તેઓ રાજ્યને વિકાસના માર્ગે આગળ વધતું જોવા માંગતા હોય તો ભાજપને ચૂંટો.