Chhota Udepur
છોટાઉદેપુર જીલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા વિડીયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેકટરે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના તેમજ નેશનલ ફુડ સિક્યુરીટી એકટ અંતર્ગત વિતરણ કરવામાં આવતા અનાજના જથ્થાની વિગતે સમીક્ષા કરી હતી. તેમણે છોટાઉદેપુર જિલ્લામાં આધાર વેરિફાઇડ અનાજ વિતરણ અંગેની કામગીરીની પણ વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી એ.આઇ. હળપતિએ પુરવઠા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારના પુરવઠા વિભાગ દ્વારા અન્નબ્રહ્મ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ લાભ મેળવવાપાત્ર લાભાર્થીઓનો સર્વે કરી વધુમાં વધુમાં લાભાર્થીઓને લાભ મળે એવી વ્યુહરચના બનાવવામાં આવશે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે વન નેશન વન રેશનકાર્ડ યોજના અંગે પણ વિગતે વાત કરી હતી.

ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓને જણાવતા તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા નજીવા દરે ડબલ ફોર્ટિફાઇડ મીઠું વિતરણ કરવામાં આવે છે. પરંતુ જાગૃતિના અભાવે લોકો દ્વારા મીઠું ખરીદવા આવતું નથી. આગામી સમયમાં લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે એ પ્રકારની કામગીરી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ ગીતાબેન રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી અને પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ પણ બેઠક દરમિયાન વિવિધ મુદ્દે તેમના સૂચનો કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ચોબિસા, જિલ્લા રજીસ્ટ્રાર, મામલતદારો, નાયબ મામલતદારો અને પુરવઠા વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.