National

મતદાર જાગૃતિ કેળવવા રાજ્યના ચૂંટણી તંત્રના સંનિષ્ઠ પ્રયાસ ૪૦ જેટલી LED વાન થકી મતદારોને અપાઈ રહ્યું છે ચૂંટણીલક્ષી શિક્ષણ

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશ ભારતની સક્ષમ લોકતાંત્રિક વ્યવસ્થાના મૂળમાં મતદાર રહેલો છે. મતાધિકારના ઉપયોગ થકી સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનતા મતદાર તેને મળેલા આ અધિકાર, ચૂંટણી વ્યવસ્થા અને મતદાનની પ્રક્રિયા અંગે જાગૃત હોય તે આવશ્યક છે. રાજ્યના મતદારોને ચૂંટણીલક્ષી શિક્ષણ મળે અને મતદાન અંગે જાગૃતિ કેળવાય તે માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ આજે વાત કરવી છે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા મતદાર જાગૃતિ માટે કરવામાં આવી રહેલા એક સ્તુત્ય પ્રયાસની મતદારો સુધી ચૂંટણીલક્ષી માહિતી પહોંચાડવા તથા મતદાન અંગે જાગૃતિ કેળવવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા અખબાર, રેડિયો, ટી.વી. ચેનલ્સ, સોશિયલ મીડિયા જેવા વિવિધ સંચાર માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમામ માધ્યમો ઉપરાંત લોકસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ પૂર્વે મતદાર જાગૃતિ ઝુંબેશના ભાગરૂપે ઇ વી એમ ના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઑડિયો-વિઝયુઅલની વ્યવસ્થાથી સજ્જ ૪૦ જેટલી ખાસ એલ ઈ ડી વાન તૈયાર કરવામાં આવી હતી.

Advertisement

આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા ફ્લેગ ઓફ કરી ઇ વી એમ ના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો-વિઝયુઅલની વ્યવસ્થાથી સજ્જ એલ ઈ ડી વાનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રાજ્યભરમાં જેટલી જાગૃતિ વાન દ્વારા વિવિધ જિલ્લાના દૂધ મંડળી અને ગામના ચોરા જેવા ગ્રામ્ય વિસ્તાર તથા કૉલેજ, યુનિવર્સિટી કેમ્પસ, જી.આઈ.ડી.સી વિસ્તાર અને બગીચા જેવા શહેરી વિસ્તારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યા છે.

રાજ્યના તમામ મતક્ષેત્રમાં નિશ્ચિત રૂટ પર આ એલ ઈ ડી વાન સાથે ચૂંટણી તંત્રના કર્મચારીઓ દ્વારા ચૂંટણીલક્ષી માહિતી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ મોબાઈલ એપ્સ તથા ઈ વી એમ અને વી વી પી એ ટી દ્વારા મતદાનની પ્રક્રિયાના લાઈવ ડેમોન્સ્ટ્રેશન સહિતની બાબતોથી મતદારોને અવગત કરાવવામાં આવી રહ્યા છે.

Advertisement

આ ઉપરાંત ચૂંટણીમાં દરેક મતનું મૂલ્ય સમજાવી મતદારોને પોતાના મતાધિકારના ઉપયોગ અંગે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને શહેરી મતદારો, મહિલા મતદારો અને યુવા મતદારોમાં મતદાન પ્રત્યે ઉદાસીનતા દૂર કરવા માટે તથા મતદાન જાગૃતિ માટે હાથ ધરવામાં આવેલી આ મતદાર જાગૃતિ ઝુંબેશમાં મતદારો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં ૫૦% થી ઓછું મતદાન ધરાવતા તથા જ્યાં પુરુષો અને મહિલાઓના મતદાનનો તફાવત ૧૦% થી વધુ હોય તેવા મતદાન મથકોમાં મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે અને સમગ્રતયા રાજ્યમાં મતદાનની ટકાવારી વધે તે માટે મતદાન જાગૃતિના ઑડિયો/વિડિયો તથા હોડિંગ્સનું નિદર્શન પણ આવી એલ ઈ ડી વાન પર કરવામાં આવી રહ્યું છે.

Advertisement

Trending

Exit mobile version