Ahmedabad
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દ્વારા વ્યસનમુક્તિ , વિશ્વશાંતિ તથા પર્યાવરણ રક્ષણ યજ્ઞ

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંત મંડળ સહિત સેમારી – રાજસ્થાનમાં વ્યસનમુક્તિ , વિશ્વશાંતિ યજ્ઞ તથા પર્યાવરણ રક્ષણ યજ્ઞ સભર ભવ્ય નગરયાત્રા યોજાઈ તથા વીર શિરોમણિ મહારાણા પ્રતાપને શ્રદ્ધા પુષ્પાંજલિ પણ અર્પણ કરાઈ….
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું સંત મંડળ સહિત સેમારી – રાજસ્થાનમાં વ્યસનમુક્તિ, વિશ્વશાંતિ, પર્યાવરણ રક્ષણ યજ્ઞ સભર ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા વિવિધ આધ્યાત્મિક સભર કાર્યક્રમોમાં કીર્તન ભક્તિ, સંતવાણી તથા જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજના દિવ્ય આશીર્વાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના આશ્રિત ખુમાનસિંહ, પરબતસિંહ, નરેન્દ્રસિંહ, પાર્થિવસિંહ, નરેન્દ્રસિંહ શક્તાવત વગેરે હરિભક્તોના આર્થિક સહયોગથી પરમ પૂજય આચાર્ય સ્વામીશ્રી મહારાજના વરદ હસ્તે ૩૫૦ વિદ્યાર્થીઓને બેગ તથા ટીફિન વિતરણ – માનવ સેવા અભિયાનનું પણ આયોજન કરાયું હતું તથા મોટા અધિકારીઓનું પણ યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ સંત મંડળ સહિત મેવાડની રાજધાની ચાવંડ વીર શિરોમણિ મહારાણા પ્રતાપના સ્મારક સ્થાને પધાર્યા હતા. પરમ પૂજય આચાર્ય સ્વામીશ્રી મહારાજે વીર શિરોમણી મહારાણા પ્રતાપને શ્રદ્ધા પુષ્પાંજલિ અર્પણ કરી. શ્રી મુકતજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડે પણ દેશભકતિના ધૂનની મધુર સૂરાવલી રેલાવી પુષ્પાજંલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે પરમ પૂજય આચાર્ય સ્વામીશ્રી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મહારાણા પ્રતાપે પોતાનું સર્વસ્વ સનાતન ધર્મની રક્ષા માટે ન્યોછાવર કર્યું. સનાતન ધર્મની રક્ષા માટે બલિદાન, ત્યાગ, સમર્પણ કરવાવાળા દરેક યોદ્ધાના આત્માના કલ્યાણ માટે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરાઈ. ત્યારબાદ મહારાણા પ્રતાપ સ્મારક સમિતિના સભ્યોએ પરમ પૂજય આચાર્ય સ્વામીશ્રી મહારાજનું સ્વાગત કર્યું હતું.
સેમારી, રાજસ્થાનમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દ્વિદિવસીય સત્સંગસભાનું આયોજન કરાયું હતું. સેમારી – રાજસ્થાનમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની દિવ્ય નગરયાત્રા પણ યોજાઈ. પરમ પૂજય આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં તથા મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી તથા સંતમંડળની ઉપસ્થિતિમાં વ્યસનમુકિત તથા વિશ્વશાંતિયજ્ઞ પણ યોજાયો. આ અવસરે પરમ પૂજય આચાર્ય સ્વામીશ્રી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે, માતા પિતાની સેવા તથા ધર્મ તથા નીતિમય જીવન જીવતા મનુષ્ય ક્યારેય દુઃખી થતો નથી.
આ દિવ્ય અવસરનો લાભ દેશ દેશના હરિભકતો તથા સ્થાનિક નગરવાસીઓએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.