Surat

શિક્ષક હોય તો આવા! સ્ટ્રીટ લાઇટના અજવાળે ભણતાં તેજસ્વી તારલાઓનાં ઘરે અજવાળા પાથર્યા

Published

on

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી ડો. અબ્દુલ કલામ શાળાના શિક્ષકોની. આ શાળાના શિક્ષકોએ પૈસા ભેગા કરી ખેતમજૂરોના ઝૂંપડામાં સોલાર પેનલ લગાવ્યા છે. જેને લઈને વિદ્યાર્થીઓના ઘરે લાઇટનો ઉજાસ પથરાયો છે.સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એટલા બધા વિવાદ થાય છે કે, તેમાં સમિતિ દ્વારા કરવામાં આવતી સારી કામગીરી પણ ઢંકાઈ જાય છે.તેમ છતાં કેટલીક શાળાના શિક્ષકો-આચાર્ય દ્વારા પ્રસિદ્ધિનો મોહ બાજુએ મૂકીને અનેક સારા કામ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર નીકળે તે માટે સ્વખર્ચે પ્રિ-ટેસ્ટનું આયોજન કરનારી ગોડાદરાની ડો.અબ્દુલ કલામ પ્રાથમિક શાળાના શિક્ષકોએ વેકેશન દરમિયાન તેમની સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ઘરે અજવાળું કરીને તેમના અભ્યાસમાં મદદરૂપ બનવાની કામગીરી કરી છે.ગોડાદરાની આ સ્કૂલમાં અભ્યાસ કરતાં દેવીપુત્ર વિક્રમ વિજયભાઈ, દેવીપુત્ર પૂનમ વિજયભાઈ અને દેવીપુત્ર સીમા વિજયભાઈ તેજસ્વી વિદ્યાર્થી છે.

તેઓ વધુ સારી રીતે અભ્યાસ કરે તે માટે તેમના ક્લાસ ટીચર હસમુખભાઈ પટેલે તેમના ઘરની મુલાકાત લેતા તેઓ ચોંકી ગયા હતા. અભ્યાસમાં હોશિયાર એવા આ વિદ્યાર્થીઓ ખેતમજૂરના દીકરા છે. તેઓ પરવટ પાટીયા વિસ્તારમાં આવેલા એક ખેતરમાં બનાવેલા ઝૂંપડામાં રહે છે, જ્યાં લાઇટની વ્યવસ્થા નથી. વધુ તપાસ કરતાં વિદ્યાર્થીઓ સ્ટ્રીટ લાઇટના અજવાળે સ્કૂલનું લેશન અને અન્ય અભ્યાસ કરે છે તેવી હકીકત જાણવા મળી હતી.હાલમાં આ વિદ્યાર્થીઓએ ધોરણ 6ની પરીક્ષા સારા માર્કે પાસ કરીને ધોરણ સાતમા આવ્યા છે. તેથી ક્લાસ ટીચર હસમુખભાઈ વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે આચાર્ય દીપક ત્રિવેદીને વાત કરી હતી. ક્લાસરૂમમાં આ મુજબની ચર્ચા થતા શિક્ષકોએ પોતાના ખર્ચે આ ગરીબ વિદ્યાર્થીઓના ઘરે સોલાર પેનલ લગાવવાનો નિર્ણય કર્યો હતો. શિક્ષકોએ એસ્ટિમેન્ટ કઢાવતા 15 હજાર જેટલો ખર્ચ થાય તેમ જાણ્યું હતું.

Advertisement

શિક્ષકોએ પૈસા કાઢીને ખેતમજૂરના ઝૂંપડામાં સોલાર પેનલ લગાવવાની કામગીરી આશિષભાઈ ધાનાણી નામના વ્યક્તિને સોંપી હતી. પાલિકાની શાળાના શિક્ષકોની આ ભાવના જોઈને આશિષભાઈ ધાનાણીએ પંદર હજાર નહીં પરંતુ 8 હજારમાં જ પેનલ ફીટ કરીને આ સેવાયજ્ઞમાં પોતાનું પણ યોગદાન આપ્યું હતું.આમ, સરકારી સ્કૂલના શિક્ષકોની સારી ભાવનાના કારણે એક ખેતમજૂરના ઝૂંપડામાં રહેતા વિદ્યાર્થીઓ સ્ટ્રીટ લાઈટના બદલે લાઇટના પ્રકાશમાં અભ્યાસ કરશે અને આ વિદ્યાર્થીઓ અભ્યાસમાં અગ્રેસર હોવાથી આ શાળાના શિક્ષકોએ તેમને ભવિષ્યમાં પણ મદદરૂપ થવા માટે તૈયારી બતાવી છે. સુરત પાલિકાની ગોડાદરાની શાળાના શિક્ષકોએ કરેલા અનોખા સેવાયજ્ઞના કારણે એક શ્રમજીવીના ઝૂંપડામાં વીજ પ્રકાશ લાવવામાં સફળતા મળી છે. આ શ્રમજીવીના ઝુંપડામાં પહેલી વાર વીજળીનો પ્રકાશ જોઈ પરિવારના સભ્યો ખુશીથી છલકાઈ ગયા હતા.

રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત

Advertisement

Trending

Exit mobile version