International
કેનેડામાં ફરી તોડવામાં આવી મહાત્મા ગાંધીની પ્રતિમા, ભારતીય દૂતાવાસ કરી સખત નિંદા

કેનેડાના બર્નાબીમાં યુનિવર્સિટી કેમ્પસમાં મહાત્મા ગાંધીની બીજી પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. વાનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે મંગળવારે આ અંગે માહિતી આપી હતી. મળતી માહિતી મુજબ, આ પ્રતિમા સિમોન ફ્રેઝર યુનિવર્સિટીના બનબાર્બી કેમ્પસના પીસ સ્ક્વેરમાં મૂકવામાં આવી હતી.
કોન્સ્યુલેટ જનરલે ટ્વીટ કર્યું કે, “અમે સિમોન ફ્રેઝર યુનિવર્સિટીના બર્નાબી કેમ્પસમાં શાંતિના પ્રણેતા મહાત્મા ગાંધીની પ્રતિમાની અપમાનની સખત નિંદા કરીએ છીએ અને કેનેડિયન સત્તાવાળાઓને આ મામલાની તાત્કાલિક તપાસ કરવા અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા વિનંતી કરીએ છીએ.”
કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના હેમિલ્ટન શહેરમાં સિટી હોલ નજીક 23 માર્ચે ખાલિસ્તાની સમર્થકોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને વિકૃત અને સ્પ્રે-પેઇન્ટ કર્યા પછી આ ઘટના બની છે.
ગયા વર્ષે જુલાઈમાં, કેનેડાના રિચમંડ હિલમાં વિષ્ણુ મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી, જેની ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા સખત નિંદા કરવામાં આવી હતી.
તે સમયે, દૂતાવાસે એક ટ્વિટમાં કહ્યું હતું કે “રિચમંડ હિલના વિષ્ણુ મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની અપવિત્રતાથી અમે વ્યથિત છીએ. તોડફોડના આ ગુનાહિત, ધિક્કારપાત્ર કૃત્યથી કેનેડામાં ભારતીય સમુદાયની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી છે. ”
રામ મંદિરને પણ નુકસાન થયું હતું
કેનેડામાં તાજેતરમાં કેટલાક હિંદુ મંદિરોમાં તોડફોડ કરનારા ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળ્યો છે. “ખાલિસ્તાની ઉગ્રવાદીઓ” દ્વારા 13 ફેબ્રુઆરીએ મિસીસૌગામાં એક રામ મંદિરને ભારત વિરોધી ગ્રાફિટીથી વિકૃત કરવામાં આવ્યું હતું.
ટોરોન્ટોમાં ભારતના વાણિજ્ય દૂતાવાસે ટ્વીટ કર્યું, “અમે મિસીસૌગામાં રામ મંદિરને ભારત વિરોધી ગ્રેફિટી સાથે બદનામ કરવાની સખત નિંદા કરીએ છીએ.