Gujarat

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ભગવાન દ્વારકાધીશને બાવન ગજની ધજા અર્પણ કરી

Published

on

મંત્રી સંઘવીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ધજાજીનું શોડષોપચારથી પુજન કર્યું, વાવાઝોડાનું સંકટ ટળતાં લોકસુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરી હતી વાવાઝોડાથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૦ હજાર જેટલા વીજપોલને નુકસાન, આવતીકાલથી જનજીવન પૂર્વવત થઇ બિપરજોય વાવાઝોડાનું સંકટ ટળતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન દ્વારકાધીશની વિશેષ વંદના કરતા આજે ભગવાનને બાવન ગજની ધજા અર્પણ કરી હતી. આ સાથે દ્વારકા તેમજ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરી હતી. મંત્રી સંઘવીએ દ્વારકામાં જગત મંદિર ખાતે ધજાજીનું શોડષોપચારથી પુજન કર્યું હતું. અહીંના આચાર્યોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરાવ્યું હતું. બાદમાં ભગવાન દ્વારકાધીશને આ ધજા અર્પણ કરાઇ હતી અને આ ધજા મંદિરના શિખર પર ચઢાવવામાં આવી હતી. આ તકે મંત્રીશ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાનું સંકટ ટળતાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર આજ સાંજથી પુનઃ ધજારોહણ શરૂ થયું છે. આવતીકાલથી પાંચેય સમયની ધજાઓ ચડાવવામાં આવશે, તેમજ તમામ દર્શનનો સમય પૂર્વવત થઈ જશે.

‘બિપરજોય’થી નુકસાની અંગે તેમણે જણાવ્યું હતું કે, વાવાઝોડામાં કોઈ જાનહાનિ થઈ નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન મુજબ અને તેઓના સતત નિરીક્ષણને પગલે આ કુદરતી પ્રકોપ સામે આપણે ઝીરો કેઝ્યુઆલિટી જાળવી રાખી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૪૦ ગામડાઓમાં વાવાઝોડાથી આશરે ૧૦ હજાર જેટલા વીજપોલ પડી ગયા છે. જ્યારે વૃક્ષો પણ પડી ગયા છે. આ વૃક્ષો હટાવવાની કામગીરી પૂરજોશમાં છે, તેમજ વીજ પુરવઠો પણ પૂર્વવત થઈ જશે.તેમણે કહ્યું હતું કે ગુજરાત પર કાયમ સોમનાથ મહાદેવ તેમજ ભગવાન દ્વારકાધીશની કૃપા રહી છે અને તેમની કૃપાથી આવતીકાલથી બધું જનજીવન પૂર્વવત થઈ જશે. આ તકે રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, જિલ્લા પ્રમુખ મયુર ગઢવી, રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવ, પોલીસ અધિક્ષક નિતેશ પાંડે વગેરે સાથે જોડાયા હતા.

Advertisement

Trending

Exit mobile version