Chhota Udepur
છોટાઉદેપુરમાં કોંગ્રેસ દ્વારા કર્ણાટક ભાજપના ઉમેદવાર મણીકાંત રાઠોડ વિરુદ્ધ આવેદન

પ્રતિનિધિ, કાજર બારીયા
રાષ્ટ્રીય અધ્યક્ષના પરિવારને મારી નાંખવાની ધમકી આપતા કાર્યવાહી કરવા માંગ
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ચાલતા આક્ષેપ-પ્રતિઆક્ષેપો અને નિવેદનો મામલે હજુ ધમાસાણ ચાલી રહ્યું છે અને આજે છોટાઉદેપુર ખાતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ જીલ્લા પોલીસ વડાને આવેદન પાઠવી કર્ણાટક ભાજપના ઉમેદવાર મણીકાંત રાઠોડ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન પાઠવ્યું છે.
છોટાઉદેપુર જીલ્લા કોંગ્રેસ સમિતિ અને જેતપુરપાવી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા પોલીસવડાને રજૂઆત કરી છે કે કર્ણાટકમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને કોંગ્રેસ તરફ એક જુવાળ છે. ત્યારે મણીકાંત રાઠોડ જાહેરસભામાં જાહેર નિવેદનથી મલ્લિકાર્જૂન ખડગે અને તેમના પરિવારને મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારે છે. ખડગે અનુસુચિત પરિવારમાંથી આવતા હોવાથી તેઓની લોકપ્રિયતા વધતાં જાનથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારાય છે. જેમાં નાતજાતના ભેદભાવ ઉભા કરીને ધાર્મિક લાગણીઓ ઉશ્કેરીને રાજકીય વિરોધીઓને ખૂન ખરાબા કરવાની ધમકીઓ આપી દેશમાં ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ ઉશ્કેરાતી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ખડગે સામેના નિવેદનથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લોકોમાં અશાંતિ ફેલાઈ છે અને જાતિગત લાગણીઓ દુભાયેલી છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી જવાનો ભય પણ જોવા મળી રહ્યો છે જેથી ભાજપના મણીકાંત રાઠોડ વિરુદ્ધ આઈપીસીની કલમ ૧૫૩(એ), ૨૯૫(એ), ૫૦૫, ૫૦૬, ૨૯૪,૧૨૦(બી) મુજબની ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા માંગ કરી છે.