Gujarat
નાના અને કુશળ કારીગરો માટે પીએમ વિશ્વકર્મા યોજના આર્થિક આધારસ્તંભ બનશે

પંચમહાલ જિલ્લાના પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા ૧૮ પ્રકારના કારીગરો નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરાવી શકશે
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પરંપરાગત હસ્તકલાના કારીગરો માટે આર્થિક આધારસ્તંભ છે.શિલ્પકાર, સુથાર, લુહાર, કુંભાર વગેરે જેવા પરંપરાગત વ્યવસાયને નવી પેઢીઓએ અપનાવી લીધી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આવા પરિવારોની ચિંતા કરીને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મુકી છે.
રાજ્ય સહિત પંચમહાલ જિલ્લાના પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા કુટુંબો તેમજ કારીગરોને પીએમ વિશ્વકર્મા યોજનાથી લાભાન્વિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે સુદ્રઢ પ્રતિબધ્ધતા દર્શાવી છે.
પંચમહાલ જિલ્લાના પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા ૧૮ પ્રકારના કારીગરો નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરાવીને લાભ મેળવી શકશે.આ ૧૮ પ્રકારના ટ્રેડમાં સુથારકામ,બોટ નાવડી બનાવનાર,લુહાર,બખ્તર/ચપ્પુ બનાવનાર,હથોડી અને ટુલકીટ બનાવનાર,તાળા બનાવનાર,કુંભારકામ,શિલ્પકાર/મુર્તિકાર/પથ્થરની કામગીરી કરનાર,દરજીકામ,ધોબી,ફૂલોની માળા બનાવનાર માળી,માછલી પકડવાની જાળી બનાવનાર,ઢીંગલી અને રમકડાની બનાવટ અને સોનીકામનો સમાવેશ થાય છે.
આ વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો માટે સ્વરોજગારના નવા દ્વાર ખુલશે. આ યોજનાનો આશય તાલીમ થકી કારીગરોની કુશળતાને વધુ નિખાર આપવા સહિત આધુનિક સાધન-સહાય ઉપલબ્ધ કરાવવાનો છે. જેથી કુશળ કારીગર પોતાની પ્રતિભાથી સ્વ-રોજગાર પ્રાપ્ત કરી શકે છે.
પરંપરાગત શિલ્પકારો અને કારીગરોને સહાયતા માટેની આ કેન્દ્રીય યોજનાનું બજેટ ૧૩ હજાર કરોડનું છે.આ યોજનાના લાભાર્થીઓને માત્ર ૫ ટકાના દરે પ્રથમ ચરણમાં રૂ.૧ લાખ અને બીજા ચરણમાં રૂ.૨ લાખ સુધીની મદદ મળે છે.જેમાં લાભાર્થીઓને કૌશલ વિકાસની તાલીમ, ટુલકીટ તેમજ વ્યવસાયના પ્રચાર માટે મદદ મળી રહે છે.પંચમહાલ જિલ્લાના તમામ કારીગરોને રજિસ્ટ્રેશન કરાવવા જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેંદ્ર,પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.