Chhota Udepur
કુસુમ સાગર તળાવની બ્યુટીફીકેશનની કામગીરી શરૂ કરવામાં આવી પ્રજામાં આનંદ

પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર નગરમાં આવેલ વર્ષો જૂનું કુસુમસગાર તળાવ એ નગરની શોભા છે. જે સ્ટેટ સમયે રાજવી પરિવારે બનાવ્યું હતું પરંતુ તળાવમાં ભારે ગંદકી અને વેલોનું સામ્રાજ્ય વર્ષોથી હોય જેના કારણે તલાવની શોભા હણાઈ ગઈ હતી. તળાવની સફાઈ અર્થે લાખો રૂપિયા ફળવાય છતાં. યોગ્ય રીતે સાફ સફાઈ થઇ નહિ અને હાલ પણ ગંદકીથી ખદબદી રહ્યું છે. જે ગંદકી પહેલા સાફ થાય પછી રીનોવેશન થાય તેવી પ્રજાએ થોડા સમય પહેલા લેખિતમાં માંગ પણ કરી હતી. પરંતુ હાલ તળાવના રીનોવેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેનાથી પ્રજા ખુશી જોવા મળી રહી છે. પરંતુ યોગ્ય કામગીરી થાય અને સાથે સાથે કચરો પણ કાયમી સાફ થાય તેમાટે પ્રજાને આશાઓ બંધાઈ છે.
અગાઉના સમયમાં લાખો રૂપિયા ખર્ચીને તળાવ ચોખ્ખું કરવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ કોઈ ચોખ્ખાઈ દેખાતી નથી. લાખો રૂપિયા તળાવ માજ ડૂબી ગયા તેવી પણ વાતો વહેતી થઈ છે.
છોટાઉદેપુર નગરની શાન ગણાતું વિશાળ કુસુમ સાગર તળાવની હાલ રીનોવેશનની કામગીરી ચાલી રહી છે જેમાં તળાવની ફરતે દીવાલ બનાવવાની કામગીરીની શરૂઆત થઇ છે. જ્યારે પ્રજામાં ખુશી જોવા મળી રહી છે. સાથે સાથે કે આ કામગીરી યોગ્ય પ્રમાણમાં થાય અને વર્ષો સુધી નગરની શોભા બરકરાર રહે તેવી પણ આશાઓ પ્રજામાં બંધાઈ છે. પરંતુ પ્રજામાં એવી ફરિયાદો ઉઠી છે કે કામગીરી અંગેના બોર્ડ સ્થળ ઉપર મુક્યા નથી. જે મુકવામાં આવે તો પ્રજાને પણ ખબર પડે કે કઈ યોજનામાં આ કામ ફાળવવામાં આવ્યું છે. કઈ ગ્રાંટ માંથી નાણાં વપરાશે કે કેટલી રકમનું કામ છે. તે અંગે બોર્ડ મુકવા જોઈએ નયતો જંગલમે મોર નાચા કિસને દેખા તેવો ઘાટ થાય તેવી ચર્ચાઓ પ્રજામાં ચાલી રહી છે. ભૂતકાળમાં નગરમાં થયેલો ભ્રષ્ટચારને કારણે પ્રજામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં આવેલ કુસુમસગર તળાવ ફરતે દીવાલ બનાવવામાં આવી રહી છે. અને અંદાજીત 3 કરોડના ખર્ચે તળાવના બ્યુટીફીકેશનની કામગીરી કરવામાં આવનાર છે. પરંતુ જે દીવાલો બનાવવામાં આવી રહી છે જેમાં પાણી પણ છાંટવામાં આવતું નથી તેવી બુમો સંભળાઈ રહી છે. જ્યારે થતી કામગીરી અંગે કેટલાનું કામ છે, કઈ ગ્રાન્ટ માંથી કામ થશે અને કઈ કઈ સુવિધાઓથી તળાવને સજ્જ કરવામાં આવશે તે અંગે નગર પાલિકાના એન્જીનીયર ફરાઝભાઈ નો ફોન ઉપર સંપર્ક કરતા ફોન ઉઠાવ્યો ન હતો. પરંતુ હાલમાં શરૂ થયેલી કામગીરી અંગે પૂરતી કાળજી લેવામાં આવે તે અંગે નવા મુકાયેલા પાલિકા ચીફ ઓફિસર અને વહીવટદાર પૂરતી કાળજી લે તેવી પ્રજાની માંગ ઉઠી છે.