Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર-પાવી તાલુકામાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષતામાં રવિ કૃષિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષતા તથા કલેક્ટર સ્તુતિ ચારણની પ્રેરક ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વવાળી રાજ્ય સરકારે ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ વિશે માહિતગાર કરીને ખુશહાલી અને સમૃદ્ધિ તરફ દોર્યા છે. જગતના તાતને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવી અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ આપીને સમૃદ્ધિ તરફનો માર્ગ કંડાર્યો છે.
વધુમાં ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ ઉમેર્યું કે, ખેડૂતલક્ષી સહાય યોજનાઓ અંગેની ખેડૂતોમાં સમજણ પુરી પાડવાના તેમજ સોઇલ કાર્ડ બનાવી યોગ્ય યોગ્ય પદ્ધતિ અને આધુનિક કૃષિ તાંત્રિકતા વિશે માહિતગાર થઈ ખેડૂતો આજે બમણુ ઉત્પાદન મેળવતા થયા છે. આજે કવાંટ તાલુકાના ઢાળવાળા વિસ્તારના ખેડૂતમિત્રો ટેકનોલોજીનો ઉપયોગ કરી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિથી મબલક પાક લેતા થયા છે. આજે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે કૃષિ પરિસંવાદને સંબોધિત કરતા કૃષિ વૈજ્ઞાનિક ડૉ. વિનોદભાઈએ ખેડૂતો, લાભાર્થીઓ તથા ગ્રામજનોને પ્રાકૃતિક અને પરંપરાગત ખેતી (તૃણધાન્ય) કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ પણ પ્રાકૃતિક ખેતી સહિત પરંપરાગત આહારને જીવનનો ભાગ બનાવી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે , બે દિવસીય આ રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૩ કાર્યક્રમને અનુલક્ષીને ખેડૂતમિત્રોને ખેતીલક્ષી સહાય અંગે સમજ પુરી પાડવા, રવિ પાક અને આધુનિક કૃષિ પદ્ધતિ વિશે માહિતગાર કરવા તેમજ કૃષિ પ્રદર્શન થકી ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને અનુલક્ષીને પ્રગતિશીલ ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મ એવોર્ડ, શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ સહિત વિવિધ સહાયનું વિતરણ કરીને લાભન્વિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ ખેતીલક્ષી સ્ટોલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના પીરાણા ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લાના કક્ષાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકો, ખેડૂતોએ મુખ્યમંત્રીના જીવંત પ્રસારણને રસપૂર્વક નિહાળ્યો હતો.આ તકે તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, મામલતદાર સહિત જિલ્લા-તાલુકાના અધિકારીઓ-કર્મચારીઓ, ખેડૂતો, લાભાર્થીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જગતના તાતને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવી અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ આપીને સમૃદ્ધિ તરફનો માર્ગ કંડાર્યો છે :- જેતપુર પાવી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા