Chhota Udepur
કદવાલમાં ITI કૉલેજ બનાવવા સરપંચની માંગ ૫૦ ગામના વિદ્યાર્થીઓને થશે લાભ

પ્રતિનિધિ, કાજર બારીયા
પાવીજેતપુર તાલુકાના કદવાલ પંથકમાં આઈ.ટી.આઈ કૉલેજ બનાવવા માટે કદવાલ સરપંચ રૂજલીબેન રાઠવા દ્વારા મુખ્યમંત્રીને અનુલક્ષીને રજૂઆત કરવામાં આવી હતી. જો આ આઈ.ટી.આઈ નું નિર્માણ થાય તો ૫૦થી વધુ ગામોના વિદ્યાર્થીઓ આ આઈ.ટી.આઈ કૉલેજ નો લાભ મેળવી શકે કદવાલ પંથકમાં હાઇસ્કુલ, શાળાઓ તથા આરોગ્ય સંસ્થાઓ આવેલી છે. જેમાં કદવાલની આજુબાજુના તેમજ અન્ય વિસ્તારના ૫૦થી પણ વધુ ગામોના લોકો અહીંયા અવર જવર તથા શિક્ષણ તેમજ આરોગ્ય લક્ષીનો લાભ મેળવે છે. ત્યારે આ પંથકના ગામોના વિદ્યાર્થીઓને આઈ.ટી.આઈ કૉલેજ નું શિક્ષણ મેળવવા માટે ૪૦ કિલોમીટર જેટલું દૂર જવું પડે છે. આઈ.ટી.આઈ કૉલેજ જવા માટે બસોની વ્યવસ્થા નથી તેમજ આટલે દૂર જવા માટે સવારે વહેલું ઉઠી અંધારામાં બસ સ્ટેન્ડ સુધી પગપાળા પહોંચવું પડે છે.
આ ગામો જંગલ વિસ્તારના હોય વન્ય પશુઓના ડર વચ્ચે જીવના જોખમે બસ સ્ટેન્ડ સુધી પહોંચવું પડે છે. તેમજ શિક્ષણ મેળવી પરત આવે છે ત્યારે રાત પડી જતી હોય છે. જેથી વિદ્યાર્થીઓને જંગલી જાનવરોથી ભય રહેલો છે. આવી મુશ્કેલીઓને કારણે કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જાય છે. ત્યારે કદવાલ ગામના સરપંચ રૂજલીબેન જામસિંગભાઈ રાઠવા આ વિસ્તારના વિદ્યાર્થીઓની તકલીફો દૂર કરવા તેમજ નજીકમાં આઈ.ટી.આઈ કૉલેજ નું શિક્ષણ મળી રહે તે હેતુસર કદવાલ પંથકમાં એક આઈ.ટી.આઈ મંજૂર કરવામાં આવે તેવી દરખાસ્ત કરતો પત્ર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને લખવામાં આવ્યો હતો. સરપંચના આ પ્રસ્તાવને ઝરી, કેવડા, પોઇલી, ચુલી, કંડા, ભીખાપુરા, ઇટવાડા જેવા ૫૦થી વધુ ગામોએ પોતાનો ટેકો આપી કદવાલમાં આઈ.ટી.આઈ કૉલેજ બને તેનું સમર્થન કર્યું હતું. ગુજરાત સરકાર આદિવાસીના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે મોડેલ સ્કૂલ, છાત્રાલય જેવી શિક્ષણ સંસ્થાઓ બનાવે છે. ત્યારે સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે કદવાલ પંથકમાં આઈ.ટી.આઈ કૉલેજ બનાવે તેવી લોક માંગણી આદિવાસી વિદ્યાર્થીઓમાં ઊઠી છે