Ahmedabad
મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ચૈત્ર વદ એકાદશી -વરૂથિની અગિયારસે શ્રી ઘનશ્યામ મહારાજને ભવ્ય આમ્રોત્સવ ધરાવવામાં આવ્યો …

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ચૈત્ર વદ એકાદશી – વરૂથિની અગિયારસના પાવન દિને શ્રી સ્વામિનારાયણ ભગવાન – ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રી, જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાને ભવ્ય આમ્રોત્સવ ધરાવવામાં આવ્યો હતો.
સુગંધથી મઘમઘતી કેરીઓનો અનોખો અને આકર્ષક કલાત્મક મનોરમ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાન – ઘનશ્યામ મહારાજ આદિ મૂર્તિઓની ચારેબાજુ લટકતી કેરીઓના અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. તો સિંહાસનની આગળ જાતજાતની અને ભાતભાતની મીઠી અને મધુર કેરીઓનો પ્રસાદરૂપે આમ્રોત્સવ મનાવવામાં આવ્યો હતો.
આજે ચૈત્ર વદ એકાદશી હોવાથી હજ્જારોની સંખ્યામાં આસ્થાવાન શ્રદ્ધાળુ હરિભક્તોએ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના અને આમ્રોત્સવના દર્શન કરી કૃતકૃત્યતા અનુભવી હતી.
હાલ ગ્રીષ્મઋતુ- ઉનાળાની સીઝન હોઈ ફળોનો રાજા તરીકે ઓળખાતા કેસર કેરીનો આમ્રોત્સવ કરવામાં આવ્યો હતો. જેનાં દર્શન કરી સત્સંગીઓ – ભાવિકોમાં અનેરો આનંદ પણ જોવા મળતો હતો.
વળી, આજે ચૈત્ર સુદ એકાદશી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે શ્રી ઘનશ્યામ મહાપ્રભુની આરતી ઉતારી હતી તથા આજના પાવનકારી અવસરે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની મહાપૂજા પણ કરવામાં આવી હતી. આ દિવ્ય પાવનકારી અવસરનો લાભ દેશો દેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લ્હાવો લીધો હતો.