Ahmedabad
સ્વામિનારાયણ મંદિર, બોલ્ટન, યુકે ખાતે જિતેન્દ્રિયપ્રિયદાસની અધ્યક્ષતામાં ૭૭ મા સ્વાતંત્ર્ય દિનની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઇ

ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫ મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. કારણ કે ભારત દેશ બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયો હતો. તે સમગ્ર દેશમાં વિવિધ વ્યકિતઓને એક કરે છે. વિવિધતામાં એકતા એ ભારત દેશનો મૂળભૂત માર્ગ અને શકિત છે.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ૧૫ મી ઓગસ્ટે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટીશ પાઇપ બેન્ડે રાષ્ટ્રગીત ‘જન, ગણ, મન…’ની પ્રસ્તુતિ કરી હતી. બોલ્ટન, યુકેમાં વસતા ભારતીયોએ રાષ્ટ્રભાવના દર્શાવતાં વિવિધ પરિવેશમાં આ પર્વની ઉજવણી કરી હતી.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે હાજર રહેલા સર્વ સંતોને, હરિભક્તોને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં આઝાદીની ચળવળના નેતાઓને, શહીદોને સાચા હૃદયથી શ્રદ્ધાંજલી સૌએ અર્પણ કરી હતી અને આ પ્રસંગે રાષ્ટ્રભક્તિથી ભરપૂર શૌર્યગાનો રજૂ કર્યા હતા.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે સ્વાતંત્ર્ય દિનના પાવનકારી અવસરે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે, આજે ખૂબ આનંદની વાત છે કે ભારત દેશની આઝાદીને ૭૬ વર્ષ પૂર્ણ થયા છે અને ૭૭ મા વર્ષમાં મંગલ પ્રારંભ કર્યો છે, એ અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવની સાથે આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ “નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ” છે. આપણે ઉજવી રહ્યા છીએ. દરેક ભારતીય માટે તેનો દેશ પહેલો આવવો જોઇએ. ખાસ તો આપણા પૂર્વજો, જેમણે આઝાદી માટે પુરુષાર્થ કરેલો એ બધાને પણ આપણે યાદ કરીએ.
તેમજ આપણા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે પણ પોતાનું સમગ્ર જીવન ભારતનું ગૌરવ વધે, આપણી સંસ્કૃતિ અને સંસ્કારો વધે એ માટે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી પ્રચાર કરેલો છે એમને પણ યાદ કરી એ સ્મુતિને જીવંત કરીએ અને એ રાહે આપણે પણ રાષ્ટ્ર નિર્માણ, દેશનો વિકાસ અને તેનું સન્માન જાળવી રાખવા હંમેશા પ્રયત્નશીલ રહીએ. આ દિવ્ય અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.