Panchmahal
આપના એક પ્રયાસથી કોઈ એક બાળકને શિક્ષણ મળશે

પંચમહાલ જિલ્લામાં અધ વચ્ચેથી શાળા છોડી દીધી હોય અથવા શાળાએ ન જતા હોય તેવા ૬ થી ૧૯ વર્ષના બાળકોની સર્વે પ્રક્રિયા આગામી ૦૮ નવેમ્બર ૨૦૨૩ સુધી ચાલશે\સમગ્ર શિક્ષા અભિયાન,પંચમહાલ-ગોધરા દ્વારા શાળા બહારના બાળકોનો સર્વે હાથ ધરીને GSOS અંતર્ગત ઘરે શિક્ષણ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાશે
રાઈટ ટુ એજયુકેશન એકટ–૨૦૦૯ની જોગવાઈ મુજબ ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે.
સામાજિક કે આર્થિક કારણોસર કોઈ બાળક અધવચ્ચેથી શાળામાંથી ભણવાનું છોડી દે છે અથવા તો બાળક ક્યારેય શાળાએ દાખલ થયેલ નથી,આવા બાળકોને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ પુર્ણ કરાવવા તેમજ ધોરણ–૮/૯ પછી શિક્ષણ છોડી દીધેલ હોય અને ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ પુર્ણ કરેલ ન હોય તેવા ૬ થી ૧૯ વય સુધીના તમામ બાળકો માટે પંચમહાલ જિલ્લામાં તારીખ ૦૮/૧૧/૨૦૨૩ સુધી સર્વે પ્રક્રિયા હાથ ધરાશે. જો આપની આસપાસના વિસ્તારમાં કે અન્ય વિસ્તારમાંથી કોઈ બાળક કોઈ કારણોસર કદી શાળાએ ગયેલ ન હોય તેવા બાળક મળી આવે તો આ બાળકની વિગત તમારી નજીકની સરકારી પ્રાથમિક શાળામાં આપવા વિનંતી કરાઈ છે.વધુ માહિતી માટે સર્વ શિક્ષા અભિયાન,પંચમહાલ-ગોધરા અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦–૨૩૩–૨૪૧૭ પર સંપર્ક કરવા જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પંચમહાલ-ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
શુ આપની આસપાસ આવું કોઈ બાળક છે?
જો હા તો તેવા બાળકો માટે (GSOS-ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ) અંતર્ગત ઘરે બેઠા અભ્યાસની સુવિધા પ્રાપ્ત થશે.
બાળક કદી શાળાએ ગયેલ ન હોય
> અધવચ્ચેથી શાળા છોડી દીધેલ હોય
> દિવ્યાંગતાના કારણે શાળામાં ન ગયેલ હોય
> ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પુર્ણ કર્યા વિના અભ્યાસ છોડી દીધો હોય તેવા બાળકો માટે GSOS અંતર્ગત ભણવાનું પ્લેટફોર્મ મળી રહેશે.
શું છે GSOS
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)2020ને ધ્યાનમાં રાખીને વિવિધ કારણોસર શાળા છોડી જતા,અધૂરો અભ્યાસ છોડી મૂકતા, નિયમિત વિદ્યાર્થી તરીકે દાખલ થવા ન ઈચ્છતા વિદ્યાર્થીઓને ઘરબેઠા શિક્ષણ પૂરું પાડવા ગુજરાત સરકારે ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ’ (GSOS)ની રચના કરી છે.